જીવન એ અનુભવોની એક શૃંખલા છે ,એક મેક થી જોડાયેલા અને ભિન્ન અને ઘડિયાળના કાંટા જેમ એક પછી એક મિનીટ સેકન્ડે આગળ વધતા રહે તેમ જ વધે .પહેલા સાથે બીજાને સંબંધ હોઈ પણ શકે અથવા ના પણ હોઈ શકે પણ બેઉ આગળ વધે છે..અને આ શબ્દો એનું આલેખન છે .
પણ પ્રશ્ન થાય છે કે શબ્દો શું અનુભવનું પૂર્ણતઃ આલેખન કરવા સક્ષમ છે ? હા કોઈ શબ્દોના અધિપતિ જેની પાસે જ્ઞાનના વિશાળ સીમાડાઓ અનુરૂપ શબ્દો સાથે ખુલ્લા હોઈ શકે છે પણ તે પણ સચોટ રીતે અનુભવને વર્ણવી ના શકે .શબ્દોની રંગોળી લેખન ને ગમે તેટલી રંગીન કે ગમગીન બનાવે પણ સરળતા ની તસ્વીર આબેહુબ ઉતારવી કદાચ ટાંચા પડી જતા હશે ક્યારેક તો ...
ના આ ગપગોળા નથી એક અનુભવ સિદ્ધ તથ્ય છે .લગભગ છેલ્લા નવ મહિના થી એક એક દિવસ એક એક અનુભવનો સબક લઈને આવે છે અને એ પણ ક્યારેય સ્વપ્નમાં પણ ના વિચાર્યા હોય તેવા ..ક્યારેક જીવનમાં આ પાર કે પેલે પાર વાળી વાત હોય પણ મધ્ય વહેણ માં ઉભા રહેવાના અનુભવ જેવા હોય છે જીવનના એ પરીક્ષક સમય ના તાબેદારો .જ્યાં દિવસ અને રાત જેવા જ જરૂરી અને દિવસ અને રાત ને એક સાથે અનુભવવાના હોય એ રીતે .કોઈને ખોટા કહી ના શકાય અને પોતાનું સત્ય કોઈ સમજે નહિ એવી કપરી પળો જેણે પણ જીવનમાં અનુભવી હોય એને જરૂર લાગશે કે શબ્દો ખરેખર ટાંચા પડી જાય છે .
મને લાગે છે કે દુનિયાના ચોક માં સૌ પોતપોતાના સત્ય લઈને ઉભા છે અને તેમને ખાતરી હોય છે કે એમનું સત્ય જ સત્ય છે અને સામે વાળા નું નહીં જ .અને ખરેખર તો હકીકત આ સત્યો થી અલગ છે જેને કોઈ સમજી શકવાનું સામર્થ્ય નથી રાખતું .અને હકીકત આત્મહત્યા કરી લે એવી સૌ આશા રાખે છે ના ના આગ્રહ રાખે છે ....
જેમ પ્રત્યેક વ્યક્તિની હાથો માં રહેલી રેખા અને આંગળાની છાપ જુદી હોય છે એવી રીતે જ દરેક ના સંજોગો પણ જુદા હોય અને એક સંજોગ માં જે સત્ય હોય તે બીજી વ્યક્તિ માટે ના પણ હોય અને કદાચ સમય જતા એ સત્ય સત્ય ના પણ લાગે ...પણ એથી કોઈને પણ પોતાનું સત્ય બીજા પર લાદી દેવાનો હક્ક મળતો નથી .
ચાલો એક ઉદાહરણ આપું ..એક સ્ત્રી નોકરી કરે છે .એનું બાળક એની હાજરી એની સાથે રહે એ સંજોગો ઉભા કરે એવી રીતે વંઠી જાય છે .સ્ત્રી સમજદાર છે .એ નોકરી છોડી દે છે .લોકો એને મુર્ખ કહે છે .પણ એ ચુપચાપ પોતાના બાળકને દુનિયા નો સામનો કરવાનો દરેક રીતે સમર્થ બનાવવાનો પુરુષાર્થ કરે છે .એના બાળકની જીવનની દિશા અને દશા બદલી નાખે છે . અને એ બાળક જીવનમાં ખુબ આગળ વધી જાય છે .ત્યારે દુનિયા કહે છે તે મુર્ખ હતી કે નોકરી છોડી .બાળકના નસીબ માં ભણવાનું લખ્યું હતું તો એ ભણે જ ને .હવે એકલી પડી ગયી ...તમે જ વિચારો એક ક્ષણનું સત્ય બીજી ક્ષણે બદલાઈ ગયું .પણ હકીકત તો એ જ હતી કે જીવનની દિશા અને દશા બદલનાર નિર્ણય સમયની એ ક્ષણે જરૂરી હતો ...
શું આ બધી દ્વિધા યુક્ત દ્વંદ્વ શું શબ્દો માં આલેખવો શક્ય છે ?? છાનું છપનું એ માનું રુદન શું કલમ માં ભરી શકાય ??? એ માં ની નિયતિ સાથે લડાઈ આલેખી શકાય ??? તદ્દન ભિન્ન અનુભવોની શૃંખલા પણ શબ્દો અસમર્થ ..અને હજી પણ એક સવાલ તો રહે છે !!!
શું એ સ્ત્રી નિષ્ફળ રહી કે સફળ ????
ના જીવનમાં કર્મયોગ ને પચાવી જાણનાર કોઈ કૃષ્ણભક્ત !!!
No comments:
Post a Comment